વરસાદે વેર્યો વિનાશ: કેમિકલ કંપનીની દીવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર બાળકોના કરુણ મોત


હાલમાં જ્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે જાણવા મળ્યું છે કે, ભારે વરસાદના કારણે હાલોલમાં પાણી ભરાયા છે. આથી ચંદ્રપુરા ગામમાં આવેલી સનમુખા એગ્રો કેમિકલ કંપનીની દિવાલ પાણીના જોરદાર પ્રવાહને કારણે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે બાજુના ખુલ્લા પ્લોટમાં ઝૂંપડું બનાવીને શિવરાજપુર જીએમડીસીમાં ડસ્ટનું કામ કરતા બે મજૂર પરિવારો દીવાલ નીચે દટાઈ ગયા હતા, જેમાં બે બાળકો અને બે બાળકીનાં મોત નીપજ્યાં છે. જેમાંથી 3 સગા ભાઈ-બહેન હતા. એક જ દંપતીના બે પુત્ર અને એક પુત્રીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલોલના ઔદ્યોગિક વિસ્તારના ચંદ્રપુરા ગામે આવેલી શૈલી એન્જીનીયરીંગ કંપની સામે આ અકસ્માત સર્જાયો હતો.

હાલોલની ઔદ્યોગિક વસાહતમાં આવેલી સનમુખા એગ્રો કંપનીની દિવાલ બપોરના સમયે ભારે વરસાદ દરમિયાન ધરાશાયી થઈ હતી. બાજુમાં ઝૂંપડું બાંધી રહેલા મજૂરોના પરિવાર પર તે પડવાથી અકસ્માત સર્જાયો હતો, જેમાં આઠ લોકો ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં બે બાળક અને બે બાળકીના મોત થયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત એક બાળક, બાળકી અને બે મહિલાને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. હાલોલ પ્રાંત અધિકારીને અકસ્માતની જાણ થતા પ્રાંત અધિકારી મયુર પરમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જેમનો પરિવાર દિવાલ નીચે દટાઈ ગયો હતો તેમણે જણાવ્યું હતું કે, અચાનક ખૂબ જોરદાર પાણી આવ્યું અને દિવાલ ધરાશાયી થઈ ગઈ. જેના કારણે બધા જ દિવાલ નીચે દટાઈ ગયા હતા. જેમાં મારા ચાર વર્ષના છોકરાનું ત્યાં દિવાલ નીચે દબાઈ જવાથી મોત થયું હતું. મારા પરિવારના 5 સભ્યો અને મારી બહેનના પરિવારના 5 સભ્યો હતા. ત્યાં દિવાલ નીચે દબાઈ જવાથી મારી બહેનના ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા અને મારી બહેન ઈજાગ્રસ્ત છે, જેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

અકસ્માત બાદ ફસાયેલા 8 લોકોને મલબા નીચેથી બહાર કાઢી રોડ સુધી લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સારવાર માટે હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવેલા ઈજાગ્રસ્ત બાળકો પૈકી ચારના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે બાળકો અને બે મહિલાઓને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

મૃત્યુ પામેલાં બાળકો
મુસ્કાન અંબારામ ભૂરિયા (05 વર્ષ)
અભિષેક અંબારામ ભૂરિયા (04 વર્ષ)
ચીરીરામ જિતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ)
ગુનગુન અંબારામ ભૂરિયા (02 વર્ષ)
Tags

Post a Comment

0 Comments